દાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્


દાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ભાષાવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થીદક્ષિણાના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે.

કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ૧૩-૭ ની લોકલઆ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. કાવ્યમંગલાના ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ યાત્રામાં આ ધ્રવપદકાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે.

સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી લુટારાનામની પહેલી વાર્તા ઉપરાંત ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાતઅને હીરાકણીએમ કુલ આઠ વાર્તાઓ છે. ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં નાગરિકા’, ‘નારસિંહઅને ખોલકીજેવી વાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ખોલકીમાં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. પિયાસી’ (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. માજા વેલાનું મૃત્યુમાં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. માને ખોળેની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાંખોલકી અને નાગરિકાની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેનીરત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે.

સુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં પુલોમા અને બીજા કાવ્યોથી માંડી હિંડોલસુધીનો તેમ જ સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. સાહિત્યચિંતનમાં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. સમર્ચનામાં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે.

વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે અનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે.

પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે.

દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ચિદંબરા’ (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે.

ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે.

ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ (૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે.
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment